રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૦.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૩૨૭ સામે ૮૨૪૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૭૮૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૦૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૦૯ સામે ૨૫૩૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૨૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં મોંઘવારીના નવા આંકડા તેમજ વ્યાજદરમાં વધારાની શક્યતા અને ચીન સાથેના વેપાર તણાવને કારણે વૈશ્વિક બજારોમાં નકારાત્મક માહોલ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત વેચાણના દબાણે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વિશ્વમાં વંટોળ લાવી ચાઈના પર ૧૦૦% ટેરિફ લાદવાનો નિર્ણય લેતાં અને બીજી તરફ ઈઝરાયેલ – હમાસ યુદ્ધ વિરામની વાહવાહી મેળવવાના પ્રયાસો કરીને પોતે શાંતીદૂત હોવાનો ડોળ કરતાં વૈશ્વિક બજારો આજે ફરી અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
ટ્રમ્પના અનિશ્ચિતતા ફેલાવનારા નિર્ણયોને લઈ આગામી દિવસોમાં ભારત સાથે ટ્રેડ ડિલ મામલે કેવો નિર્ણય લેવાશે એને લઈ ફંડો, ખેલંદાઓ અસમંજસમાં રહેતાં દરેક ઉછાળે સાવચેતી સાથે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ થયું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, દુનિયાના અનેક દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જંગી ટેરિફના કારણે દરેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થઈ ગયા છે. વધુમાં ટ્રમ્પે ગત સપ્તાહે ચીન પર વધારે ૧૦૦% ટેરિફની જાહેરાતના પગલે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે, ત્યારે અમેરિકામાં ચાલુ રહેલા શટ ડાઉન, ફ્રાન્સમાં રાજકીય કટોકટીએ ડોલર ઈન્ડેક્સમાં નબળાઈને કારણે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે હમાસ – ઈઝરાયલ યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડઓઈલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ ભાવમાં સ્થિરતા જળવાઈ રહી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, મેટલ, કોમોડિટીઝ અને સર્વિસીસ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૨૭ અને વધનારની સંખ્યા ૧૩૩૭ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ટેક મહિન્દ્ર ૧.૨૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૩૬%, પાવર ગ્રીડ ૦.૩૩%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૩૧%, રિલાયન્સ ૦.૦૪%, એચસીએલ ટેકનોલોજી ૦.૦૩% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૦૧% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે બજાજ ફાઈનાન્સ ૧.૮૦%, બીઈએલ લિ. ૧.૭૬%, ટાટા સ્ટીલ ૧.૭૧%, ટીસીએસ લિ. ૧.૫૬%, એનટીસીપી ૧.૪૦%, ટ્રેન્ટ લિ. ૧.૩૮%, એશિયન પેઈન્ટ્સ ૧.૨૨% અને એક્સિસ બેન્ક ૧.૦૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૯૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૯.૬૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેરબજાર માટે આગામી દિવસોમાં દબાણ ભરેલું વાતાવરણ જોવા મળી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચે ફરી ભડકેલા ટ્રેડવોરના કારણે વૈશ્વિક ઈક્વિટી માર્કેટ્સમાં જોખમ વધશે, જેના સીધા પ્રભાવ તરીકે ભારતીય બજારમાં વિદેશી ફંડની પ્રવાહમાં અસ્થિરતા જોવા મળી શકે છે. ક્રુડ ઓઈલના ભાવોમાં ઉછાળો પણ ભારતીય અર્થતંત્ર માટે નકારાત્મક પરિબળ તરીકે કામ કરી શકે છે, કારણ કે તે મોંઘવારી દબાણ વધારી શકે છે. પરંતુ લાંબા ગાળે જોવામાં આવે તો ભારતીય શેરબજારનું આઉટલુક પોઝીટીવ છે.
મજબૂત મેક્રો ઈકોનોમિક ફંડામેન્ટલ્સ, કોર્પોરેટ કમાણી વૃદ્ધિ અને સ્થાનિક ફંડોનું સતત રોકાણ – આ બધા પરિબળો બજારને નીચા મથાળેથી ટેકો આપશે. વિદેશી ફંડો ટૂંકા ગાળાના જોખમોથી દૂર રહેતાં હોવા છતાં, ભારતીય અર્થતંત્રની સ્થિર વૃદ્ધિ અને વૈશ્વિક તુલનામાં ઓછી અસ્થિરતાને કારણે તેઓ પાછા વળવાની સંભાવના રહે છે. આવનારા દિવસોમાં બજારમાં ધીમે ધીમે સ્થિરતા અને પુનઃઉછાળો જોવા મળી શકે છે. તેથી, ટૂંકા ગાળામાં તણાવ છતાં લાંબા ગાળે ભારતીય શેરબજાર માટે દિશા હકારાત્મક રહેવાની શક્યતા છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in






