વર્તમાન કારોબારી સેશનમાં હેલ્થકેર સેક્ટરમાં પસંદગીયુક્ત ઉત્સાહ વચ્ચે એપોલો હૉસ્પિટલ્સે પોતાના વિસ્તરણ યોજના અને મજબૂત નાણાકીય પરિણામોથી રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. કંપનીનો ફોકસ ક્ષમતાવૃદ્ધિ અને ક્લિનિકલ પ્રોગ્રામ્સ પર યથાવત રહ્યો છે, જેના કારણે સેક્ટરમાં બુલિશ બાયસ મર્યાદિત સ્તરે નજરે પડે છે.
કંપની વિશે :
એપોલો હૉસ્પિટલ્સ પાસે હાલમાં ૭૮ હૉસ્પિટલ્સમાં કુલ ૧૦,૯૭૦ બેડ છે. FY૨૬ દરમિયાન કંપનીએ પુણે, કોલકાતા, હૈદરાબાદ અને દિલ્હી ખાતે ચાર નવા હૉસ્પિટલ્સ કાર્યરત કર્યા હતા. આગામી ૧૨-૧૮ મહિનામાં કંપની વધુ ૧,૫૦૦ બેડ ઉમેરવાની યોજના પર કાર્યરત છે. મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મધુ સશિધરે જણાવ્યું કે ક્ષમતાવૃદ્ધિ માત્ર વિકાસ માટે નહિ, પરંતુ મજબૂત લીડ જાળવવા માટેનું વ્યૂહાત્મક પગલું છે.
કંપનીએ જણાવ્યું કે ડાયગ્નોસ્ટિક્સ અને પ્રાઇમરી કેર સાથેની સિનેર્જી આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે, ખાસ કરીને ઑન્કોલોજી અને હાઇ-એન્ડ ડાયગ્નોસ્ટિક્સ વિભાગોમાં માંગ વધતી રહેતાં.
નાણાકીય પરિણામો :
FY૨૬માં એપોલોનો કુલ રેવન્યુ ૧૬% ઉછાળે વધીને ₹૨૫,૨૨૯ કરોડ થયો. હૉસ્પિટલ બિઝનેસે ૧૩% ઉછાળો દર્શાવી ₹૧૨,૫૫૫ કરોડનો ટર્નઓવર નોંધાવ્યો. ડાયગ્નોસ્ટિક્સ અને રિટેલ હેલ્થ બિઝનેસે ૨૦% ઉછાળા સાથે ₹૧,૮૬૫ કરોડ સુધી પહોંચ્યા, જ્યારે એપોલો હેલ્થકોએ ઓમ્નીચેનલ ફાર્મસી બિઝનેસમાં ૧૯% વૃદ્ધિ સાથે ₹૧૦,૮૦૮ કરોડ કમાયા.
માર્ચ ત્રિમાસિક ગાળામાં સંયુક્ત નેટ પ્રોફિટ ૩૬% ઉછાળે વધીને ₹૫૨૯ કરોડ રહ્યો. ઈબિટડા ₹૧,૦૧૧ કરોડ રહ્યો, જે ૩૧.૫% વૃદ્ધિ દર્શાવે છે.
બજારના મુખ્ય પરિબળો :
કંપની હૈદરાબાદ અને બેંગલુરુ બજારમાં પસંદગીયુક્ત વિસ્તરણ પર ભાર મૂકી રહી છે. નવા કાર્યરત થયેલા હૉસ્પિટલ્સમાંથી આવતા બેડ ૬૭૦ છે, જ્યારે સરજાપુર (Q૧ FY૨૭)માં ૧૭૦ બેડ અને ગુરુગ્રામ (Q૨ FY૨૭)માં ૪૦૦ બેડ ઓપરેશનલ થવાના છે. મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, આ નવા બેડમાંથી આવનારા રેવન્યુમાં આગામી દિવસોમાં ઉછાળો જોવા મળી શકે છે.
ભાવિ દિશા :
હેલ્થકેર સેક્ટરમાં રેન્જ બાઉન્ડ વલણ યથાવત રહી શકે છે, પરંતુ એપોલોની ક્ષમતાવૃદ્ધિ અને મજબૂત નાણાકીય સ્થિતિને કારણે સ્ટૉકમાં બુલિશ બાયસ મર્યાદિત સ્તરે શક્ય છે. વોલેટિલિટી યથાવત રહી શકે, પરંતુ કંપનીની સતત વિસ્તરણ નીતિને ધ્યાનમાં લેતાં લાંબા ગાળાના રોકાણકારો માટે ક્વોલિટી આધારિત રોકાણ ગણાય છે.





