HomeBusiness News - Rightફાઇનાન્સ મંત્રાલયનો સાવચેતી સંદેશ : પીએસયુ બેન્કોની મજબૂત કમાણી વચ્ચે વોલેટિલિટીનું આયોજન...

ફાઇનાન્સ મંત્રાલયનો સાવચેતી સંદેશ : પીએસયુ બેન્કોની મજબૂત કમાણી વચ્ચે વોલેટિલિટીનું આયોજન જરૂરી…!!!

ફાઇનાન્સ મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેન્કોને વૈશ્વિક અનિશ્ચિતતા અને મધ્યપૂર્વના તણાવ વચ્ચે કામગીરીમાં સાવચેતી રાખવા, ખર્ચ નિયંત્રણ પર ભાર આપવા અને મજબૂત નીતિ અનુસરવા માટે સૂચના આપી છે. FY૨૬ના રેકોર્ડ નાણાકીય પરિણામોની સમીક્ષા દરમિયાન આ માર્ગદર્શન આપવામાં આવ્યું.

પીએસયુ બેન્કોએ FY૨૬માં અંદાજે રૂપિયા ૧.૯૮ લાખ કરોડનો સર્વોચ્ચ વાર્ષિક નફો નોંધાવ્યો છે, જ્યારે એકંદર બિઝનેસ રૂપિયા ૨૮૩.૩ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. આ પરિબળો બેન્કિંગ સિસ્ટમની મજબૂત બેલેન્સશીટ અને જોખમ સંચાલનમાં સુધાર દર્શાવે છે.

બજારના મુખ્ય પરિબળો :

વર્તમાન કારોબારી સેશનમાં બેન્કિંગ ક્ષેત્રમાં વૈશ્વિક વોલેટિલિટી યથાવત રહી. મધ્યપૂર્વના તણાવ, આંતરરાષ્ટ્રીય વ્યાજદરની અનિશ્ચિતતા અને નાણાકીય પ્રવાહમાં ઘટાડાને કારણે સાવચેતીનો માહોલ સ્પષ્ટ રહ્યો. બેન્કોને ખર્ચમાં સંયમ રાખવા, કાર્યક્ષમતા સુધારવા અને ગ્રાહક સેવાના ધોરણ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો.

ગ્રોસ એનપીએ ૧.૯૩ ટકા અને નેટ એનપીએ ૦.૩૯ ટકાની નીચી સપાટીએ આવી ગઈ છે, જે પીએસયુ બેન્કિંગ ક્ષેત્ર માટે ઐતિહાસિક સુધાર કહી શકાય. કેટલાક સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગનો પ્રભાવ મર્યાદિત રહ્યો, છતાં કુલ નફાકારકતા મજબૂત રહી.

સેક્ટર દૃષ્ટિકોણ :

બેન્કિંગ સેક્ટરમાં પસંદગીયુક્ત ઉછાળો નોંધાયો, જોકે વોલેટિલિટી યથાવત રહી. ડિજિટલ લોનિંગ, એમએસએમઈ ક્રેડિટ, ઈ-કેવાયસી અને કાગળરહિત પ્રક્રિયાઓમાં સુધારાને કારણે કાર્યક્ષમતામાં વધારો નોંધાયો. પીએસયુ બેન્કોએ સરકારના કલ્યાણકારી કાર્યક્રમોમાં મજબૂત ભાગીદારી દર્શાવી છે.

અનક્લેમ્ડ ફાઇનાન્સિયલ એસેટ્સની વાપસી અભિયાનને ગતિ આપવા ‘આપની પૂંજી, આપનો અધિકાર’ના શીર્ષક હેઠળ પુસ્તક પ્રકાશિત થયું. છેલ્લા છ મહિનામાં અંદાજે રૂપિયા ૬,૮૦૦ કરોડ ૨૯ લાખથી વધુ દાવેદારોને પરત કરાયા હોવાનું મંત્રાલયે જાહેર કર્યું.

ટેકનિકલ દૃષ્ટિકોણ :

ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્કિંગ તરફ બુલિશ બાયસ મજબૂત રહ્યો છે, પરંતુ ઊંચા લેવલ પર ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહે છે. મજબૂત ક્લોઝિંગ વગર કોઈપણ સેક્ટરલ બ્રેકઆઉટ ટકાઉ ન રહેશે. સપોર્ટ લેવલની નીચે બ્રેકડાઉન થશે તો ટૂંકા ગાળામાં થોડું ધોવાણ જોવા મળી શકે.

રોકાણ રણનીતિ :

ટૂંકા ગાળાના રોકાણકારોને સાવચેતીપૂર્વક પોઝિશન લેવાની સલાહ યોગ્ય ગણાય. સ્ટોપલોસ જાળવી રાખવો આવશ્યક છે. ઘટાડે તબક્કાવાર ખરીદીની દિશામાં આગળ વધીને ક્વોલિટી બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સ્ટૉક્સમાં મર્યાદિત ફાળવણી રાખવી અનુકૂળ રહેશે. ઉછાળે નફારૂપી વેચવાલી પ્રાગ્મેટિક રણનીતિ ગણાશે.

ભાવિ દિશા :

આગામી સેશન્સમાં બજાર વૈશ્વિક સમાચાર અને મેક્રો ડેટાના આધારે રેન્જ બાઉન્ડ રહી શકે છે. બેન્કિંગ સેક્ટર માટે ક્રેડિટ ગ્રોથ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એસેટ ક્વોલિટી મજબૂત આવનારા દિવસોમાં મુખ્ય પરિબળો બની શકે છે.

Spread the love

Most Popular