સ્વિગીના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ ઑફ ઇન્વેસ્ટર રિલેશન્સ અભિષેક અગરવાલે તેમની પદવી પરથી રાજીનામું આપ્યું છે. કંપની માટે આ એક મહત્વપૂર્ણ ફેરફાર ગણાય છે, કારણ કે IPO અને QIP જેવા મોટા ફંડરેઇઝિંગ રાઉન્ડમાં અગરવાલની ભૂમિકા મજબૂત રહી હતી.
અગરવાલ ૨૦૨૩માં સ્વિગીમાં જોડાયા હતા અને તેઓ CFO રાહુલ બોથરા ને રિપોર્ટ કરતા હતા. તેમની જગ્યા માટે હાલના સમયગાળા દરમિયાન બિઝનેસ ફાઇનાન્સ ટીમ તાત્કાલિક રીતે આ જવાબદારી સંભાળશે.
કંપની વિશે :
સ્વિગી દ્વારા ડિસેમ્બર ૨૦૨૫માં QIP મારફતે ૧૦,૦૦૦ કરોડનું ફંડિંગ મેળવવામાં આવ્યું હતું, જે IPOના એક વર્ષ બાદ હાથ ધરાયેલું હતું. વધતી સ્પર્ધા અને ક્વિક-કોમર્સ ક્ષેત્રમાં દબાણને ધ્યાનમાં રાખીને કંપનીએ વધારાની મૂડી એકત્ર કરી હતી. અગરવાલે આ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં ઇન્વેસ્ટર સાથેના સંકલન અને બેન્કર મીટિંગ્સનું સંચાલન શામેલ હતું.
બજારના મુખ્ય પરિબળો :
વર્તમાન કારોબારી સેશનમાં સ્વિગીના શેરમાં દબાણ યથાવત રહ્યું છે. ઇન્સ્ટામાર્ટ યુનિટના નબળા પ્રદર્શનને કારણે શેરમાં પસંદગીયુક્ત ધોવાણ જોવા મળ્યું છે. છેલ્લા થોડા અઠવાડિયાઓમાં શેરમાં કુલ ૩૭% ઘટાડો નોંધાયો છે, પરંતુ આજના કારોબારમાં મર્યાદિત ઉછાળો જોવા મળ્યો હતો. શેરે રૂ. ૨૬૮.૬૫ સુધી પુનઃપ્રાપ્તી નોંધાવી હતી, જે આશરે ૩% નો ઉછાળો દર્શાવે છે.
ટેકનિકલ દૃષ્ટિકોણ :
ટેકનિકલ ચાર્ટ મુજબ સ્વિગીના શેરમાં વોલેટિલિટી ઊંચી જણાઈ રહી છે. ઉપરની દિશામાં રેઝિસ્ટન્સ તૂટતું નથી એટલે મજબૂત ક્લોઝિંગ આવશ્યક છે, જ્યારે નીચેની સપાટી પર સપોર્ટ લેવલ નબળું પડે તો વધુ ઘટાડો નકારી શકાય નહીં.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં સ્વિગીના શેરમાં રેન્જ બાઉન્ડ વલણ યથાવત રહેવાની શક્યતા છે. અગરવાલના રાજીનામા બાદ બજારમાં સાવચેતીનો માહોલ રહેવાની ધારણા છે. નવી નિમણૂક જાહેર ન થાય ત્યાં સુધી રોકાણકારો ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદીનો અભિગમ અપનાવી શકે છે.
રોકાણ રણનીતિ :
ટૂંકા ગાળાના ટ્રેડર્સે કડક સ્ટોપલોસ રાખવો, જ્યારે લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી આધારિત કંપનીઓમાં મર્યાદિત ખરીદી ચાલુ રાખવી યોગ્ય ગણાશે.






