વર્તમાન કારોબારી સેશનમાં ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વધતી વોલેટિલિટી વચ્ચે Zerodha ના નવા નિયમોને કારણે ટ્રેડર્સમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે. એપ્રિલ ૧ થી કંપની દ્વારા ઇન્ટ્રાડે એફ એન્ડ ઓ ટ્રેડિંગ પર લાગુ થનારા નવા બ્રોકરેજ માળખાને કારણે ઘણા સક્રિય ટ્રેડર્સ માટે વધારાનો ખર્ચ આવી શકે છે.
Zerodha એ જણાવ્યું છે કે SEBI દ્વારા નક્કી કરાયેલ ૫૦% કેશ કોલેટરલ જાળવવામાં નિષ્ફળ રહેનાર ટ્રેડર્સને હવે દરેક ઓર્ડર પાછળ ૪૦ રૂપિયાનું બ્રોકરેજ વસૂલવામાં આવશે, જ્યારે અગાઉ આ ચાર્જ ૨૦ રૂપિયામાં યથાવત હતો.
બજારના મુખ્ય પરિબળો :
• SEBIના નિયમો મુજબ ઇન્ટ્રાડે એફ એન્ડ ઓ પોઝિશન માટે ૫૦% કેશ કોલેટરલ જરૂરી છે, બાકીની રકમ નોન-કેશ એસેટ્સમાં રાખી શકાય છે.
• ઝેરોધા અત્યાર સુધી પોતાના સ્તરે ક્લાયન્ટના કેશ શોર્ટફોલને પૂરું કરતાં આવ્યું હતું, પરંતુ ફંડિંગ ખર્ચ વધતા કંપનીએ ફેરફાર કર્યો છે.
• ૨૦૨૬ના બજેટમાં STTમાં વધારા બાદ ડેરિવેટિવ્ઝ વોલ્યુમમાં ઘટાડો યથાવત રહ્યો છે.
• ફ્યુચર્સ પર STT ૦.૦૨%થી વધારીને ૦.૦૫% અને ઓપ્શન પ્રીમિયમ પર ૦.૧૦%થી વધારીને ૦.૧૫% કરવાની જાહેરાતથી બજારમાં વધારાનું દબાણ જોવા મળી રહ્યું છે.
કંપની વિશે :
Zerodha લાંબા સમયથી લો-કોસ્ટ ટ્રેડિંગ મોડેલ માટે જાણીતી રહી છે અને ડિસ્કાઉન્ટ બ્રોકરેજ ઉદ્યોગમાં અગત્યની પોઝિશન ધરાવે છે. વધતા ફંડિંગ ખર્ચ, કડક કોમ્પ્લાયન્સ અને વધતી વોલેટિલિટી વચ્ચે કંપનીએ બ્રોકરેજ માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હોવાનું CEO નીતિન કામતએ જણાવ્યું.
તેમણે જણાવ્યું કે ક્લાયન્ટના કોલેટરલના વોલ્યુમમાં ઉછાળો આવતા ફંડિંગનો ખર્ચ પણ વધ્યો છે. કેટલાક બ્રોકર્સ ટકાવારી આધારિત ફી વસૂલે છે, તે બદલે ઝેરોધાએ માત્ર કેશ કોલેટરલ શોર્ટફોલ ધરાવતા ટ્રેડ્સ પર વધારાનો બ્રોકરેજ વસૂલવાનો માર્ગ અપનાવ્યો છે.
રોકાણ રણનીતિ :
• ઇન્ટ્રાડે એફ એન્ડ ઓ ટ્રેડર્સ માટે કેશ કોલેટરલનું યોગ્ય મેનેજમેન્ટ હવે અનિવાર્ય બન્યું છે.
• ઉછાળે નફારૂપી વેચવાલી અને ઘટાડે તબક્કાવાર ખરીદી સાથે ટ્રેડિંગ પોઝિશન જાળવવી યોગ્ય રહેશે.
• વધતા ટ્રેડિંગ ખર્ચને ધ્યાનમાં રાખતાં ટ્રેડર્સ સ્ટોપલોસ સાથે મર્યાદિત જોખમવાળી રણનીતિ અપનાવે તે યોગ્ય રહેશે.
ભાવિ દિશા :
આગામી દિવસોમાં ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રેન્જ બાઉન્ડ વલણ યથાવત રહી શકે છે. STTના વધારા સાથે બ્રોકરેજ માળખામાં આ ફેરફાર ટૂંકા ગાળામાં બજારના વોલ્યુમ પર દબાણ લાવી શકે છે. પોઝિશન લેનાર ટ્રેડર્સ માટે સાવચેતી જરૂરી રહેશે અને કેશ કોલેટરલ સંબંધિત નિયમોનું પાલન મહત્ત્વપૂર્ણ બનશે.







